Saturday, July 05, 2008

તસલીમાના લવારા : જે થાળીમાં ખાધું એમાં જ છેદ કર્યો ?

સંદેશ ,
તસલીમાના લવારા : જે થાળીમાં ખાધું એમાં જ છેદ કર્યો ?
આખરે તસલીમા નસરીન ભારતમાંથી વિદાય થઇ ગઇ અને એ સાથે જ કોંગ્રેસીઓ અને ડાબેરીઓના જીવમાં જીવ આવ્યો છે. તસલીમા નસરીને અહીં જે હોળી સળગાવેલી ને તેમાં કોંગ્રેસીઓ ને ડાબેરીઓ બંનેને જે રીતે ઝાળ લાગેલી એ જોતાં તેમને રાહતની લાગણી થાય એ સ્વાભાવિક છે. તસલીમા જતાં જતાં ધમકી આપતી ગઇ છે કે પોતે આવતા ઓગસ્ટ મહિના સુધીમાં ભારત પાછી ફરશે. જોકે તેણે અહીં જે લખ્ખણ ગણો તો લખ્ખણ ને અપલખ્ખણ ગણો તો અપલખ્ખણ, ઝળકાવ્યાં તે જોતાં તેની પાછી ભારતમાં પધરામણી થાય એ શક્યતા ઓછી છે. તસલીમાના નામથી જ આખી દુનિયામાં કટ્ટરવાદી મુસ્લિમો ભડકે છે ને ભારતના મુસ્લિમો પણ તેમાંથી બાકાત નથી. તસલીમા અહીં હતી ત્યારે જ મુસ્લિમોએ જે રાડો કરેલો તે જોઇને જ કોંગ્રેસીઓ ને ડાબેરીઓ થથરી ગયેલા પણ એ વખતે તસલીમાને તગેડી મૂકે તો આખી દુનિયામાં નાક વઢાય એમ હતું એટલે સરકારે ટાઢે પાણીએ ખસ કાઢવાનો રસ્તો ખોળી કાઢયો ને તસલીમાને નજરકેદ જ કરી દીધી. તસલીમા બધી રીતે સાવ હાથથી ગયેલી બાઇ છે એટલે તેને ઝાઝો વખત બાંધીને રાખી ના શકાય, ને એ જ થયું, ત્રણ મહિનામાં તો એ બાઇ થાકી ગઇ ને ભારત છોડવાનું નક્કી કરી બેઠી. કોંગ્રેસ માટે તો આ ટાઢે પાણીએ ખસ કાઢવા જેવી વાત હતી પછી એ આડો હાથ શાને સારું દે? તસલીમા કાલ જતી હોય તો આજ જાય ને એ જ થયું. હવે તસલીમા પાછી આવવા માંગે તો પણ કમસે કમ આ સરકાર તો તેને ફરકવા દે એ વાતમાં માલ નથી. આ ચૂંટણીનું વર્ષ છે ને સામી ચૂંટણીએ તસલીમા જેવી આફતને પોંખી મુસ્લિમ બિરાદરોને નારાજ કરાય ? ના જ કરાય.
સરકાર તો તસલીમા જાય એમ ઇચ્છતી જ હતી, ને બાકી હતું એ તસલીમાએ વિદાય વેળાએ ભારત સરકારનાં મરશિયાં ગાઇને પૂરું કર્યું. તસલીમાએ ભારત સરકારને કટ્ટરવાદી ગણાવી ને કટ્ટરવાદીઓના દબાણ સામે ઘૂંટણ ટેકવી દીધા હોવાનું પણ કહ્યું. ભારતમાં તેને કેદ કરી દેવાઇ હતી ત્યાંથી માંડી તેને સારી દાકતરી સારવાર ના મળી ત્યાં સુધીના રોદણાં તેણે રડયાં છે ને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની દુહાઇ આપીને સરકારને ભરપેટ ગાળો આપી છે. ભારત માત્ર કહેવાતો જ બિનસાંપ્રદાયિક દેશ છે, બાકી અહીં કટ્ટરવાદીઓનું જ રાજ છે ને એવા તો ઘણા લવારા આ બાઇએ કર્યા છે. આ લવારા પછી ભારત સરકાર પોતે વિઝા આપે એ વાતમાં માલ નથી ને આપવા પણ, શા માટે જોઇએ? જે બાઇને આપણી સરકારે મહિનાઓ લગી અહીં રાખી, કટ્ટરવાદીઓ સામે ઝીંક ઝીલીને જેનું રક્ષણ કર્યું ને આ દેશના લોકોની પરસેવાની કમાણીનું આંધણ કરીને સાચવી એ બાઇ આ પ્રકારના લવારા કરે ને એ પછી પણ જો આપણે તેને આવકારીએ તો આપણા જેવું બેવકૂફ કોઇ ના ગણાય. તસલીમા ગમે તે કહે, આ દેશમાં કેટલી બિનસાંપ્રદાયિકતા છે, અભિવ્યક્તિનું કેટલું સ્વાતંત્ર્ય છે એ આખી દુનિયા જાણે છે ને તેના માટે તસલીમાના ર્સિટફિકેટની જરૃર નથી પણ આ લવારા દ્વારા તસલીમાએ તેની જાત બતાવી આપી છે. આ બાઇ કેટલી નગુણી છે ને જે થાળીમાં ખાય તેમાં જ થૂંકવાની તેની માનસિકતા છે તેનું પ્રદર્શન તેણે કરી દીધું છે.
કોંગ્રેસ-ડાબેરીઓ બંને દંભી છે ને બિનસાંપ્રદાયિકતાનો ઢોંગ કરીને મુસ્લિમોને પંપાળે છે એ સાચું છે પણ તસલીમાના કિસ્સામાં આ વાત લાગુ નથી પડતી. તસલીમા છાપેલું કાટલું છે ને એ ભારત આવી એ પહેલાંથી જ આખી દુનિયાના મુસ્લિમો તેના નામનાં છાજિયાં લેતા હતા ને ભારતમાં તેને પગ મૂકવા દેશો તો હાલત બગાડી નાંખીશું એવી ધમકીઓ આપતા હતા. એ પછી પણ ભારત સરકારે તેને વિઝા આપ્યા ને ખરેખર તો એ માટે તેણે ભારતનો ઉપકાર માનવો જોઇએ તેના બદલે આ બાઇ આપણને જ ગાળો આપે છે. તસલીમા સાથે આટલો વિરોધ થયો એ પછી પણ સરકારે તેને તગેડી મૂકીને હાથ ખંખેરી નાંખવાના બદલે તેને સલામતી પૂરી પાડી, પણ તેનો પાડ માનવાને બદલે આ બાઇ આપણને કટ્ટરવાદી ગણાવે છે.
ભારતમાં છૂટથી ફરવા નથી મળતું ને સતત સરકારી એજન્સીઓની સૂચના પ્રમાણે જ ચાલવું પડતું હતું એ કારણે તસલીમા વંકાઇ. જો કે એમાં ખોટું શું છે ? ભારત સરકારે તસલીમાને નજરકેદ બનાવીને રાખી એમાં કંઇ ખોટું નથી કર્યું. આખી દુનિયા એ કરે છે. સલમાન રશદીએ મહંમદ પયગંબર સાહેબ સામે તેની ‘શેતાનિક વર્સીસ’ નવલકથામાં એલફેલ લખેલું ને તેને કારણે તેની સામે મોતનો ફતવો બહાર પડયો પછી બ્રિટિશ સરકારે તેને ક્યાં સંતાડી દીધો એની જ કોઇને ખબર નહોતી પડી. દસ વર્ષ લગી રશદી એ રીતે અજ્ઞાાતવાસમાં જ જીવ્યો હતો ને છતાં તેણે કદી ફરિયાદ નથી કરી. ને તમે ફરિયાદ કરી પણ શેના શકો ? તમે પલીતો ચાંપો ને પછી તેની ઝાળ સુદ્ધાં તમને ના અડે એવી આશા કઇ રીતે રાખી શકો ? તમને સુધારાવાદી બનવાના ને એ બહાને વાહવાહી લૂંટવાના એટલા બધા અભરખા હોય તો તેનાં પરિણામો ભોગવવા તો તૈયાર રહેવું પડે કે નહીં ? તસલીમાએ જે કંઇ તોફાન કરેલું એ તો વર્ષો જૂનું છે ને તેણે પાડ માનવો જોઇએ કે એ ભારતમાં રહી તો આ રીતે જીવી શકી, બાકી તેના દેશમાં તો તેનો ક્યારનોય ઘડો લાડવો થઇ ગયો હોત.
તસલીમાની વિદાયથી આપણે હરખાવા જેવું નથી કે અફસોસ કરવા જેવું પણ નથી. તસલીમા એટલી મોટી લેખિકા નથી કે તેના જવાથી શૂન્યાવકાશ સર્જાઇ જાય અને આપણે સાવ નોંધારા થઇ જઇએ. ને એ મોટી લેખિકા હોય તો પણ શું ? એ આ દેશ કરતાં તો મોટી નથી જ. આ દેશે તેને પનાહ આપી, તેને સાચવી, તેને નવી જિંદગી આપીને એ પછી પણ જો તેનામાં પાડ માનવા જેટલો ગુણ ના હોય તો તેની મહાનતાને શું ધોઇ પીવાની ?
તસલીમા સામે કટ્ટરવાદીઓ વિરોધ કરતા હતા ત્યારે આ દેશના લોકો અને ખાસ તો કટ્ટરવાદીઓના વિરોધીઓને તેના તરફ સહાનુભૂતિ હતી. તસલીમાએ એક જ ઝાટકે એ બધું ખોઇ નાંખ્યું. એ બધી સહાનુભૂતિ ગુમાવી દીધી. જો કે તેમાં આપણે શું કરીએ ? અફસોસ એક જ છે કે તસલીમાને બે વર્ષ લગી રહ્યા પછી આ જ્ઞાાન લાધ્યું. તેને આ જ્ઞાાન પહેલાં જ લાધ્યું હોત તો આપણી પરસેવાની કમાણીના પચીસ-પચાસ લાખનું આંધણ તો ના થયું હોત ને ?
સુવાસ કહે છે કે કંઇક આવું જ છે, આતંકવાદ વિરોધી અમેરિકાની લડાઇને સમર્થન આપવું, આપણી સમસ્‍યા ને આપણને નડતો આતંકવાદ બીજો છે, અમેરિકાનો બીજો, માટે જ અમેરિકા કે ઇઝરાયેલને અનુસરવું ખોટું છે, બલકે હાનિકારક છે....

No comments: