Thursday, April 09, 2009

ઝનૂની ધર્માંધતા તાલિબાનોનો ઇજારો નથી

તેલ અવીવની એક કંપનીએ એક અજબ ફોટાવાળા ટી શટ્ર્સ બનાવ્યાં છે: ઇઝરાયેલના બોમ્બમારામાં હાથમાં રમકડાં સાથે મૃત્યુ પામેલા બાળક પાસે તેની મા રડે છે, અને નીચે સ્લોગન છે, ‘કોન્ડોમ વાપરો.’... બ્રાઝિલમાં નવ વર્ષની એક બાળકી ઉપર તેના સાવકા બાપે બળાત્કાર કર્યો, ને તેને જોડકાંનો ગર્ભ રહ્યો. તે બાળકીને જે ડૉકટરોએ ગર્ભપાત કરાવી આપ્યો તેમને બ્રાઝિલના ચર્ચે નાતબહાર કર્યા છે ને તે નિર્ણયને પોપે વખાણ્યો છે. ... ગયા અઠવાડિયે જેરુસલેમની હારેદી નૈતિક સેના (હારદી મોડેસ્ટી પેટ્રોલ)ના સૈનિકોએ ૧૪ વર્ષની એક છોકરીના ચહેરા ઉપર પાટલૂન પહેરવાના ગુના બદલ એસિડ ફેંકયો હતો.
ગુટેનબર્ગે છાપખાનાનાં બીંબાં શોધીને વાંચવા લખવાનું સામાન્ય જનતાના હાથમાં મૂકયું તેમ ઇન્ટરનેટે જન્મ આપ્યો છે ‘વેબલોગ’ યાને ‘બ્લોગ’ નામે એક અદ્વિતીય નવા માઘ્યમને, જેમાં કોઇ પણ વ્યકિત મામૂલી ખર્ચે પોતાના વિચારો જગત સામે મૂકી શકે છે. ન્યુયોર્કથી બહાર પડે છે એવું એક સમાચારપત્ર ‘હફિંગ્ટન પોસ્ટ’ જેના ૪૫ લાખ વાચકોના કારણે તે દુનિયાનો સૌથી વધુ શકિતમાન બ્લોગ ગણાય છે.
ગયા અઠવાડિયે તેમાં કેનેડાના એક ડાકટર, અને પત્રકાર અલી એ. રિઝવી તેમની કોલમમાં જણાવે છે કે ભારતમાં ચાર્લી ચેપ્લિનનું બાવલું મૂકવા સામે વિરોધ થયો કેમકે ચેપ્લિન ખ્રિસ્તી હતા, અને તે જ સપ્તાહમાં વરુણ ગાંધીએ મુસ્લિમોના ડોકાં ઉડાડી દેવાનો નારો પોકાર્યો. તે જ અરસામાં રામ સેનાએ પોતાના નૈતિક હુમલા છેક ગોવાનાં બારમાં શરાબ પીતી અંગરેજ ટુરિસ્ટ છોકરીઓ સુધી લંબાવવાની યોજના કરી. અલી કહે છે કે ઝનૂની ધર્માંધતા હવે તાલિબાનોનો જ ઇજારો નથી.
હવે નેહરુ જેવા કટ્ટર નાસ્તિકના નબીરાથી માંડીને નામદાર પોપ જેવા અદ્દલ ધર્મપુરુષ સુધી તે પ્રસરી ચૂકી છે। હવે પોપ કહે છે કે કોન્ડોમ વાપરવાથી એઇડ્ઝ થાય છે. ને પોપ કહે છે કે ઇસુને ભજો નહીંતર નરકમાં જશો. અને લેખક કહે છે કે ધર્માંધતા ઇસ્લામ ઉપરાંત હવે બીજા ધર્મોને ડસી રહી છે. અને અન્ય ધર્મ પણ જાણે સાઉદી અરેબિયા, ઇરાન અને તાલિબાનના ઝનૂનથી પ્રેરિત થઇ રહ્યા છે
લેખક કહે છે કે આવા બનાવોને અપવાદ ગણીને હસી નાખવા સહેલા છે પણ ઇઝરાયેલના વિદેશપ્રધાન થનારા એવિગદોર લિબરમેન નામે એક કટ્ટરવાદી નેતા કહે છે કે બધા પેલેસ્ટાઇનીયન કેદીઓને બસમાં ભરીને દરિયામાં નાખીને ડુબાડવા જરૂરી છે. અને ઇઝરાયેલે ગાઝામાં સિવિલિયનો મરે તેની પરવા વિના કડક હાથે કામ લેવાનું છે. ગાઝા ઉપરના છેલ્લા હુમલામાં બાબત ઇઝરાયેલી સૈનિકો કહે છે કે તેમને સિવિલિયનોની નર્મિમ હત્યા કરવા કહેવાયું હતું. ને ‘વોર’ને યહૂદી ધર્મગુરુઓએ ધર્મયુદ્ધનો રુતબો આપ્યો હતો.
આ બધું એકાદ અઠવાડિયામાં બની ગયું: કટ્ટર નાસ્તિક જવાહરલાલ નેહરુની નસલનો નબીરો, અદ્દલ ધર્મપુરુષ નામદાર પોપ, ઇઝરાયેલના અસલ રાજપુરુષ પોતપોતાના દેશોની પ્રભાવશાળી હસ્તીઓ છે. તેઓના વિચાર ને આચાર રોજ કરોડો વ્યકિતઓને સ્પર્શે છે.
કટારલેખક અલી કહે છે કે લોકો કહેતા હોય છે કે ધર્મ ખરાબ નથી, તેના અનુયાયીઓ ધિક્કાર ફેલાવે છે. પણ હકીકત ઊધી છે, ધર્મગ્રન્થો હવે પુરાણાં થયાં છે, તેમની આંધળી ભકિત નહીં પણ ફેરતપાસ ને ફેરવિચાર જરૂરી છે. તે ગ્રન્થોમાં જ અન્યધર્મીઓનું નિકંદન કાઢવાનાં ને બીજાં અનેક અવિચારી ને અમાનુષી ફરમાનો છે. બધા ધર્મોશાંતિ ચાહે છે એવો પોપટપાઠ પણ વ્યર્થ છે. બાઇબલ, કુરાન, યહૂદીઓના ‘તોરા’નાં અનેક ભાષાઓમાં અનુવાદ અને મિમાંસા હવે ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. તેથી બંધ આંખે માથે ચડવેલા આદેશો હવે તર્કથી ને તીવ્રતાથી તપાસી શકાય છે. દાખલા તરીકે ‘તોરા’ કહે છે કે ગૈર-યહૂદીઓને દરિયામાં નાખો ( Shmot 23:31-33 ), અને લગ્નની રાતે કુમારિકા ન હોય તેને પથ્થરા મારીને હણી નાખો ( Devarim 22:20-21 ).
પથરા મારવાની રસમ તો મુસ્લિમ જગતમાં હજી ચાલે છે, કેમકે વ્યભિચાર જેવાં પાપ માટે તે સજાની જોગવાઇ હજરત સાહેબની હદીથમાં છે. હવે સર્વમાન્ય છે કે હજરત સાહેબની ૧૧મી પત્ની નવ વર્ષની હતી. અને પત્નીને કાબૂમાં રાખવા તેને ફટકારવાની ઇજાજત કુરાનમાં છે ( Quran, verse 4:34 ). પરધર્મી કાફરો સામે જેહાદનો એલાન પણ છે ( Quran, verse 9:5, 5:51 ). હિન્દુઓની મનુસ્મૃતિમાં પુરુષોને સ્ત્રીઓ ઉપર શાસન કરવાની આદેશ છે જેમાંથી રામ સેનાને નારીદમનની પ્રેરણા મળી છે.
આ સર્વ ગ્રન્થો ઇશ્વરની વાણીરૂપે પંકાયા છે, કિન્તુ તોરામાં માનતા હોવ તો ઇઝરાયેલની નીતિનો વિરોધ કયા મોઢે કરી શકો? તમે હજરત સાહેબની નવ વર્ષની પત્નીને સ્વીકારી શકો તો ૪૭ વરસનો યમની સોદાગર આઠ વર્ષની બીવી લાવે તેનો વિરોધ કેમ કરી શકો? કુમારી ન હોય તેવી કુંવારી કન્યાઓને પથ્થર મારવાનું ફરમાન તોરા ને બાઇબલ કરે છે, તો આપણાથી તે ફરમાનનો વિરોધ કરાય? એક જમાનામાં આવા સવાલ જાહેરમાં પૂછો તો મોતનો ફતવો બહાર પડતો. પણ હવે લોકો વાંચતા ને સમજતા થયા છે. હવે કેટલીક જરીપુરાણીને ગોઝારી માન્યતાઓનો વિરોધ બેશક જરૂરી છે, એમ અલી સાહેબનું કહેવું છે.

No comments: